દિલ્હી: CAAના વિરોધમાં જામા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન, સ્થિતિ સામાન્ય, અમન કમિટીએ કરી શાંતિની અપીલ

સીલમપુરમાં અમન કમિટીના સભ્યો પરવેઝ મિયાએ લોકોને અપીલ કરી કે નમાઝ બાદ લોકો પોત પોતાના ઘરે જાય અને શાંતિ જાળવે. તેમણે કહ્યું કે અમે અમારી વાત સરકાર સુધી પહોંચાડી દીધી છે. ભીડમાં અસામાજિક તત્વો ઘૂસી જાય છે અને નુકસાન અમારા લોકોને જ થાય છે. રાજકીય પક્ષો પોતાના રોટલા શેકે છે. 

દિલ્હી: CAAના વિરોધમાં જામા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન, સ્થિતિ સામાન્ય, અમન કમિટીએ કરી શાંતિની અપીલ

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ના વિરોધમાં જુમ્માની નમાઝ બાદ જામા મસ્જિદની બહાર વિરોધ પ્રદર્શન થયું. અહીં પોલીસે બેરિકેડિંગ કરી રાખી હતી અને અનેક ટુકડીઓ તૈનાત છે. ગત શુક્રવારે અહીં વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું અને ત્યારબાદ 15 લોકોની ધરપકડ થઈ હતી. પોલીસે કાર્યવાહી કરવી પડી હતી. આજે પણ દિલ્હી (Delhi) ના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી અને ડ્રોન દ્વારા નિગરાણી થઈ રહી છે. પોલીસે જામા મસ્જિદની આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. આ સાથે જ જોરબાગ વિસ્તારમાં પણ સીએએ અને એનસીઆર વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. 

સીલમપુરમાં અમન કમિટીની શાંતિની અપીલ
સીલમપુરમાં અમન કમિટીના સભ્યો પરવેઝ મિયાએ લોકોને અપીલ કરી કે નમાઝ બાદ લોકો પોત પોતાના ઘરે જાય અને શાંતિ જાળવે. તેમણે કહ્યું કે અમે અમારી વાત સરકાર સુધી પહોંચાડી દીધી છે. ભીડમાં અસામાજિક તત્વો ઘૂસી જાય છે અને નુકસાન અમારા લોકોને જ થાય છે. રાજકીય પક્ષો પોતાના રોટલા શેકે છે. 

દિલ્હી પોલીસે (Delhi Police) આ વખતે જુમ્મા પર ખુબ સતર્કતા રાખી છે અને સુરક્ષા વ્યવસ્થા એકદમ ચાકબંધ કરી છે. ઉત્તર પૂર્વ જિલ્લામાં કલમ 144 લાગુ છે. પેરામિલેટ્રીની 15 કંપનીઓ તૈનાત કરાઈ છે. પોલીસ સવારથી બાઈક પેટ્રોલિંગ કરી રહી છે. શાંતિ જાળવી રાખવા માટે પોલીસે મૌલાનાઓ અને મૌલવીઓ સાથે મીટિંગ પણ કરી છે. 

ઈન્ટરનેટ બંધ
જુમ્માની નમાઝ અગાઉ ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. યુપીના 14 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ  કરી દેવાઈ છે. જે જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે તેમાં ગાઝિયાબાદ (ગત રાત 10 વાગ્યાથી), બુલંદશહેર, આગરા, સંભલ, મુઝફ્ફરનગર, બિજનોર, સહારનપુર, ફિરોઝાબાદ, અલીગઢ, મથુરા, શામલી, કાનપુર, સીતાપુર, અને મેરઠ સામેલ છે. 

સરકારે શરૂ કરી કાર્યવાહી
આ બાજુ હવે સરકારે ઉપદ્રવીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં હિંસા કરનારા અને સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓની ઓળખ કરીને હવે જિલ્લા વહીવટીતંત્ર તેમને નોટિસ ફટકારી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સાર્વજનિક અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારા આરોપીી ઓળખ કરીને 373 લોકોને નોટિસ મોકલવામાં આવી છે. 

હકીકતમાં લખનઉ (Lucknow) માં 19 ડિસેમ્બરના રોજ થયેલી હિંસાની ઘટના બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યા હતાં કે જે લોકોએ પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું તેમની ઓળખ કરીને તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે. નોટિસમાં મોટાભાગના એવા લોકો સામેલ છે જેમની ઓળખ વિરોધ પ્રદર્શન અને ધરપકડ વખતે લેવાયેલા વીડિઓ અને તસવીરોને સ્કેન કરીને કરાઈ છે. 

કયા કયા જિલ્લામાં મોકલાઈ નોટિસ
રામપુર, સંભલ સહિત મુરાદાબાદ મંડલમાં 200, લખનઉમાં 110, ફિરોઝાબાદમાં 29, ગોરખપુરમાં 34, રામપુરમાં 28 ઉપદ્રવીઓને સંપત્તિ વસૂલીની નોટિસ મોકલવામાં આવી છે. બિજનોરમાં 20 ડિસેમ્બરે થયેલા હિંસક પ્રદર્શન દરમિયાન થયેલા નુકસાનની આકરણી કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે 43 લોકોને વસૂલાતની નોટિસ ફટકારી છે. 

જુઓ LIVE TV

તોડફોડ અને સંપત્તિઓને નુકસાન પહોંચાડવાના આરોપમાં ફિરોઝાબાદમાં 29 લોકોને નોટિસ મોકલવામાં આવી છે. સંભલમાં 26 લોકોને નોટિસ મોકલાઈ છે. ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થયેલી હિંસા અને તોડફોડ બાદ હવે પોલીસ તપાસના આધારે તોડફોડ અને સંપત્તિઓને નુકસાન પહોંચાડવાના આરોપમાં ઓળખ થયેલા આયોજક રાજકીય પક્ષો, સંગઠન, અને વ્યક્તિગત આધાર પર પાઠવવામાં આવેલી નોટિસમાં બધાને 3 દિવસથી લઈને એક અઠવાડિયા સુધીનો સમય અપાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં યુપીમાં લગભગ 1.9 કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારવામાં આવેલી છે. જેમાંથી બુલંદશહેરમાં 6 લાખની વસૂલાત માટે નોટિસ બહાર પડી છે. સંભલમાં 15 લાખની વસૂલાત માટે નોટિસ, જ્યારે રામપુર જિલ્લામાં 25 લાખ રૂપિયાના નુકસાનની નોટિસ બહાર પાડવામાં આવી છે. 

યુપીમાં અત્યાર સુધી 19 લોકોના મોત
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન યુપીમાં અત્યાર સુધી 19 લોકોના મોત થયા છે. યુપીમાં 288 પોલીસકર્મી ઘાયલ થયા છે. 61 પોલીસકર્મી ફાયર આર્મ્સમાં ઘાયલ થયા છે. લખનઉ-ડીજીપી મુખ્યાલયે આંકડા બહાર પાડ્યા છે. આ બાજુ નાગરિકતા કાયદા પર પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની તપાસ હવે એસઆઈટી કશે. યુપીના ડીજીપીએ દરેક જિલ્લામાં એસઆઈટી બનાવવાની અને એડિશનલ એસપી સ્તરના અધિકારી પાસે તપાસ કરાવવાના નિર્દેશ આપ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news